Rajpipla : Updated: Jul 6th, 2025

ચૈતર વસાવાની રિમાન્ડ-જામીન અરજી રદ, AAPના MLAને વડોદરા સેન્ટ્રલ જેલ લઈ જવાયા
Chaitar Vasava Case: દેડિયાપાડા લાફા કાંડ મારામારી ના કેસમાં આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ આજે(6 જુલાઈ) તેમને રાજપીપળા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. જ્યાં રાજપીપળા કોર્ટમાં ચૈતર વસાવાના 5 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા જોકે, નીચલી કોર્ટે આ માંગણીને નામંજૂર કરી દીધી છે. નર્મદામાં કાયદો અને વ્યવસ્થા જોખમાઈ નહિ તેને પગલે ચૈતર વસાવાને સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે લઈ જવામાં આવ્યા છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચૈતર વસાવાનું મેડિકલ ચેકઅપ કરાયું છે.
જામીન અને રિમાન્ડ કોર્ટે અરજી ફગાવી
મળતી માહિતી મુજબ, રાજપીપળા કોર્ટે ચૈતર વસાવાના રિમાન્ડ અને જામીન અરજી બંને નામંજૂર કરી દીધી છે. હવે ચૈતર વસાવાને સેશન્સ કોર્ટમાંથી જામીન લેવી પડશે. હાલ, ચૈતર વસાવાને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં મૂકવામાં આવ્યા છે. સોમવારે (7 જુલાઈ) એ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવશે.
કારણ વગરની ગંભીર કલમો લગાવાઈ છે ખોટી રીતે ફસાવવામા આવ્યા છે : ગોપાલ ઈટાલિયા
દેડીયાપાડાના ધારાસભ્યની મુશ્કેલી વધી છે. ત્યારે ચૈતર વસાવાના વકીલ ગોપાલ ઈટાલિયાએ રાજપીપલા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દલીલો કરી હતી અને જામીન પણ માગ્યા હતા. ત્યારે હવે ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, ‘ચૈતર વસાવાને પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસે વિવિધ પ્રકારના 14 જેટલા મુદ્દા લખ્યા હતા, જેના આધારે પોલીસે પાંચ દિવસની રિમાન્ડ માગવાની અરજી આપી હતી. જેની સામે સંયુક્ત રીતે અમે ત્રણ વકીલોએ દલીલ કરી હતી. ત્યારબાદ પોલીસની રિમાન્ડ અરજીને નામંજૂર કરાઈ છે. કારણ વગર ગંભીર કલમો લગાવાઈ છે ખોટા આરોપો કરાયા. જેને લઈને તેને કાયદા અને કોર્ટની પ્રક્રિયામાં ફસાવી શકાય અને નામ બદનામ કરી શકાય. વર્ષો થી ભાજપના જ કેટલાક નેતા લોકો ગુનેગાર છે તેમના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરાઈ નથી.’






