રાજકોટમાં રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. કોંગ્રેસના નેતા લલિત વસોયાએ આમ આદમી પાર્ટી ના નેતા ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ 10 કરોડનો બદનક્ષીનો દાવો કર્યો છે. વસોયાએ ઈટાલિયાને બદનક્ષીની નોટિસ ફટકારી છે, જેમાં વિસાવદર પેટાચૂંટણી દરમિયાન તેમની બદનામી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વિસાવદર પેટાચૂંટણી પ્રચાર દરમિયાન ગોપાલ ઈટાલિયાએ લલિત વસોયા પર લોકોને રૂપિયા આપવાનો આક્ષેપ કર્યો હતો. વસોયાનો દાવો છે કે, ઈટાલિયા પાસે આ આક્ષેપો સાબિત કરવા માટે કોઈ પુરાવા ન હોવા છતાં, તેમણે ‘સ્ટિંગ ઑપરેશન’ ના નામે જાહેરમાં તેમની બદનામી કરી હતી.
લલિત વસોયાએ આ ગંભીર આરોપોને કારણે પોતાની જાહેર છબીને નુકસાન થયું હોવાનું જણાવી ગોપાલ ઈટાલિયાને કાયદેસરની નોટિસ મોકલી છે. આ નોટિસમાં તેમણે ઈટાલિયા પાસેથી ₹૧૦ કરોડનું વળતર માંગ્યું છે. આ સાથે જ વસોયાએ ગોપાલ ઈટાલિયાને 10 દિવસની અંદર આ નોટિસનો સંતોષકારક જવાબ આપવા પણ જણાવ્યું છે. જો 10 દિવસમાં ગોપાલ ઈટાલિયા તરફથી યોગ્ય જવાબ નહીં મળે તો લલિત વસોયા કાયદેસરની કાર્યવાહી આગળ વધારશે એવું સુત્રો પાસે થી જાણવા મળ્યું છે.






