બારડોલી ના ધૂળિયા રોડ ઉપર મોડી રાતે ભંગાર ના ગોડાઉનો માં ભીષણ આગ ભભૂકી
(મેજર કોલ જણાતા બારડોલી સહિત ૭ ફાયર સ્ટેશનો ને બોલાવી ૧૦ કલાકે આગ કાબુમા લેવાઈ…. ભારે નુકશાન બાવજુત જાનહાનિ ટળતા રાહત )

બારડોલી તા ૧૫
બારડોલી નગરપાલિકા હદ વિસ્તાર ના ધૂળિયા રોડ ઉપર આવેલ વિવિધ ભંગાર ના ગોડાઉનો માં ગત મધરાતે ભીષણ આગ ભભૂકતા ભારે અફરાતફરી મચી હતી.
મોડી રાત્રે ૨ વાગ્યા ના સમય આસપાસ આગને કાબુ માં લેવાના પ્રયત્નો દરમ્યાન જાણકારી મળતા બારડોલી ફાયર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ વિવિધ ૪ અગ્નિશમન વાહનો સાથે ઘટના સ્થળે પહોંચી હતી.અગમ્ય સંજોગો માં ભભૂકેલી આગ ને એક તબક્કે કાબુ માં લેવાઈ હતી. પરંતુ ભારે પવન ના કારણે તણખા ઊડતા મળસ્કે ૫ વાગે ફરી એકવાર ભુભૂકેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ આગની જ્વાળાઓ એ એકબીજાને અડીને આવેલ ભંગાર ના અન્ય ગોડાઉનો ને પણ ઝપેટ મા લીધા હતા. બીજી તરફ સ્થળ નજીક ફાયર એન્જીનો માં પાણી ભરવાની સુવિધા ના હોવાના કારણે બારડોલી ફાયર ડિવિઝન ના વાહનોએ પાણી ભરવા બારડોલી ટાઉન ના ચક્કરો મારવાની ફરજ પડી હતી. આગ નું સ્વરૂપ વકરતા આગ મેજર ફાયર જણાતા સુરત જિલ્લા ફાયર ડિવિઝન દ્વારા બારડોલી સહિત સુરત SMC,વ્યારા, પીઈપીએલ ,કામરેજ, નવસારી, વ્યારા ફાયર ડિવિઝન વગેરે ના ફાયર એન્જીનો ને કોલ અપાયો હતો. કોલ સાથે બનાવ ના સ્થળે પહોંચેલા તમામ લશ્કરોએ સતત ૧૦ કલાક ની ભારે જહેમત બાદ આગ ને કાબૂમાં લઈ કુલિંગ પ્રક્રિયા ચાલુ કરી હોવાનું જાણવા મળે છે.જો કે આગ નું સ્વરૂપ મોટું હોવા છતાં કોઈપણ જાનહાનિ ના નોંધાતા રાહત અનુભવાઈ હતી.
આગ નું સ્વરૂપ મોટું જણાતા ઘટના સ્થળે બારડોલી ના પ્રાંત , ડે. કલેક્ટર જીગ્ના પરમાર સહિત મામલતદાર કલ્પના પટેલ અને પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ.દેસાઈ અને કર્મચારીઓએ રાત્રે ઘટના સ્થળ ની મુલાકાત લઈ વિવિધ દિશા માં અવલોકન કર્યું હતું. આગ ને કાબૂમાં લેવાની બાબત ને પ્રાધાન્ય આપતા બારડોલી મામલતદાર ને ઝીણવટભરી તપાસ નો હુકમ આપતા આગ નુ કારણ, જમીન માલિકીના પુરાવા સહિત કબજેદારો ની તપાસ સાથે આસપાસ માં રહેણાંક વસાહતો જણાતા બારડોલી નગરપાલિકા કચેરીમાં થી અપાયેલી પરવાનગીઓ ની ખરાઈ ,જમીન માલિકી, એનએ પરવાનગી , ફાયર સેફ્ટી સુવિધા અને વીજ કંપની દ્વારા અપાયેલ હાઈ ટેન્શન જોડાણ વગેરે ની તપાસ કરી રિપોર્ટ બનાવવા આદેશ કરાયો હોવાનું જાણવા મળે છે. મોટાભાગે પ્લાસ્ટિક મટીરીયલ ના ભંગાર ધરાવતા ગોડાઉનો નો સંપૂર્ણ સફાયો થઈ જતા શબ્બીર, સાહિલ અને ઈસ્માઈલ નાના ઈસમો ની કબ્જા ની જમીન ઉપર ભાગ પાડી ભંગાર ના ધંધો કરતા વિવિધ ૮ ભંગારિયાઓના ગોડાઉનો નો જથ્થો આગ માં સંપૂર્ણ બળી જતા ભારે નુકશાન પહોંચ્યું હતું.બારડોલી મામલતદાર દ્વારા થનારી તપાસ ન અંતે અનેક છબરડાઓ બહાર આવવાની શક્યતા નકારી શકાતી નથી.






